અલંકારની ઉદાહર્ણો સાથે સમજુતી

અલંકાર એટલે શું?

  • સાહિત્ય કૃતિની શોભામા વધારો કરનારને અલંકાર કહે છે.
  • માનવી પોતાની શોભા વધારવા માટે આભૂષણ ધારણ કરે છે. તેવી જ રીતે ભાષામાં પણ વાણીની શોભા વધારવા માટે આભૂપણ એટલે કે અલંકારનો ઉપયોગ થાય છે.
  • આપણા મનના ભાવો કે વિચારોને પ્રગટ કરવાનું કામ ભાષાનું છે, પરંતુ આ ભાવો કે વિચારોને વધુ અસરકારક રીતે રજૂ કરવામાં જે રૂપ અર્પવામાં આવે તેને ‘અલંકાર’ કહે છે.
  • અલંકારનો વિનિયોગ પદ્યસ્વરૂપોમાં અને ગદ્યસ્વરૂપોમાં થાય છે. અને ભાષાને એક નવું રૂપ મળે છે.
  • અલંકારના મુખ્ય બે પ્રકાર છે :

(ક) શબ્દાલંકાર (ખ) અર્થાલંકાર

 સંપૂર્ણ માહિતી ઉદાહરણો સાથે નીચે મુજબ છે.

 

(ક) શબ્દાલંકાર :

  • જે અલંકારમાં શબ્દો કે વર્ણો દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવતી હોય તેને શબ્દાલંકાર કહે છે.
  • એટલે કે જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહેવાય. શબ્દાલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી તે તેના શબ્દો છે.
  • શબ્દાલંકારોના પ્રકારો

(૧) વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર.

(૨) યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર

(૩) પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર.

(૪) પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર.

 

૧. વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર.

  • જ્યારે એકનો એક વર્ણ (અક્ષર) વારંવાર પંક્તિમાં પુનરાવર્તન પામે ત્યારે ‘વર્ણાનુપ્રાસ’ કે ‘વર્ણસગાઈ અલંકાર બને છે.

 ઉદાહરણો :

ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે.

સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે.

ભૂખથીય ભૂંડી ભીખ છે.

ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા.

પારકું પાતક પોતા પર ઓઢી લીધું.

મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિના કિનારા.

કાળ જ કોર્યું તે કોને કહીએજી રે, ઓધવ !

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાલા તું, પ્રભુની પ્યારી ગ્રીવામાં પહોરાવી પ્રીતે દેજે.

તમે ચરણે અમ સદન સદૈવ સુહાય જો.

મુખ મુરકાવે માવલડી.

પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા.

માથે મેવાડી મોળિયો બિરાજે, ખંભે ખંતીલા ખુસ.

કામિની કોકિલા કેલિ કૂજન કરે.

ફાગણે ફૂલડાં ફોરમ ફોરાવે.

 

૨. શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર :

  • જયારે કાવ્યપંક્તિમાં કે વાક્યમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક્સરખા થતાં હોય તેને ‘શબ્દાનુપ્રાસ’ અલંકાર કહે છે.
  • જ્યારે ‘એકનો એક શબ્દ બે કે તેથી વધુ વખત વાર આવે’ અથવા ‘બોલવામા સમાન ઉચ્ચારણ વાળા શબ્દો આવે’ અથવા ‘એકનો એક શબ્દ બે કે તેથી વધુ વખત અલગ-અલગ અર્થમા આવે’ ત્યારે આ અલંકાર બને છે.
  • ઉદાહરણો :

સુલતાનના મોકલ્યા બે મિયાં ગુલતાનમાં મુલતાન જતા હતા.

કરે ગાન-સાન-પાન પત્ર હાયમાં રે લોલ!

હવે રંગ, બની તંગ, મચાવી જંગ, પીયોજી ભંગ!

માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરો.

આ છે શા તુજ હાલ સુરત સોનાની મૂરત.

આવી આવી હો વસંત, હેતે ક્ષિતિજો હસંત વગડો રંગે કો રસંત !

આંબા ઝૂલે કૂણાં પાને કોયલ સાંભળે શાંની? કડાવી લીમડીઓના કાને.

કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો !

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક.

જીવનવન ધોર થાઓના કઠોર આવો, ખાવા બે મારી ચાખેલાં બોર.

રે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાકી.

અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યાં છે.

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે.

જાન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ.

મને ગમે ના કોઈ વાદ, પછી હોય સમાજવાદ કે સામ્યવાદ

 

૩. પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર.

  • જયારે પહેલા ચરણના છેલ્લાં શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે 'પ્રાસસાંકળી' કે 'આંતરપ્રાસ અલંકાર' બને છે.
  • ઉદાહરણો:

વિદ્યા ભણિયો જેમ, તે ઘેર વૈભવ રૂડો; વિદ્યા ભણિયો જેહ, તેહ સદાવ્રત આપે.

જાણી લે જગદીશ, શીશ સદગુરુને નમી.

મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓરછવ.

ઘેર પધાર્યાં હરિજશ ગાતા, વા'તા તાલને શંખ મૃદંગ.

ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ.

 

૪. પ્રાસાનુંપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર.

  • જ્યારે બે પંક્તિઓ કે ચરણના અંતે એકસરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે.
  • આપણી કવિતામાં અત્યાનુપ્રાસના ઉદાહરણો જેવા મળે છે. પ્રથમ ચરણ અને બીજા ચરણનાં છેલ્લાં છેલ્લાં શબ્દો વચ્ચે પ્રાસ રચાતો હોવાથી આ અલંકાર અંત્યાનુપ્રાસ તરીકે ઓળખાય છે.

    ઉદાહરણો :

પુરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજી.

તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર, તહાં ભીંત તૂટી પડી, ચોર દબાયા ચાર.

લહેરે છે વગડાને ઝરણાનાં ગાન, ચોપાસે પહાડ, નદી ઊઘડે મેદાન.

ઉગમણે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ.

કડવા હોય લીમડા શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડે તોય પોતાની બાંય,

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો, એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો.

ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો, આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો.

મારો બાળસ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે.

ધન, રૂપ, કીરત સાંપડે, પણ વિદ્યા મહામૂલ, જેને ન વિદ્યા સાંપડે, તેનું જીવતર ધૂળ.

દેહ પર તીણા ઉઝરડા ન્હોરનાં, થીજી રહ્યાં છે આજે ઠંડા પહોરનાં.

દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક.

જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી.

નીચે પડી નયન તોય જરા ઉઘાડે. દેખી જલાશય વળી વપુને ઉપાડે.

દ્યુતિ જે તને જિવાડતી, દ્યુતિ તે તને સંહારતી.

  

(ખ) અર્થાલાકાર :- 

  • જે અહંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને અર્થાલંકાર કહે છે. આ અલંકારમાં શબ્દ કે વર્ણનું નહીં પરતું અર્થનું મહત્વ વધુ હોય છે અને અર્થ વડે જ અલંકાર બનતો હોય છે.
  • આ અલંકાર સમજતા પહેતા અમુક પાયાની મહત્વની બાબત જાણવી જરૂરી છે

ઉપમેય :- જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કરી છે.

ઉપમાન :- જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કર્યું છે.

ઉપમાવાચક શબ્દો :- જેવો, જેવી, જેવુ, જેવા, શો, શી, શું, શાં, સમો, સમોવડુ, સરખું, સમાન, સદસ્ય, માફક,

પેઠે, તુલ્યે, વગેરે જેવા શબ્દો ઉપમાવાચકશબ્દો છે

 

અર્થાલંકારોના પ્રકારો :-

(૧) ઉપમા અલંકાર.

(૨) રૂપક અલંકાર.

(૩) ઉત્પ્રેક્ષા અલંકાર.

(૪) વ્યતિરેક અલંકાર.

(૫) અનન્વય અલંકાર.

(૬) શ્ર્લેષ અલંકાર.

(૭) વ્યાજસ્તુતિ અલંકાર.

(૮) સજીવારોપણ અલંકાર.

(૯) અપહનુતિ અલંકાર.

(૧૦) અતિશયોક્તિ અલંકાર.

(૧૧) દ્રષ્ટાંત અલંકાર.

(૧૨) અર્થાન્તરન્યાસ અલંકાર.

(૧૩) સ્વભોક્તિ અલંકાર.

(૧૪) અન્યોક્તિ અલંકાર.

(૧૫) વિરોધાભાસ અલંકાર.

 

(૧) ઉપમા અલંકાર :-

  • જયારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે અલંકાર બને છે.
  • બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે અથવા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે.

 ઉદારહણો :

ફડફડતાં ફૂલ શાં કાબર કબુતરા, આભ લઈ ઊતર્યા હેઠા રે લોલ.

ઠંડો હિમભર્યાં વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો.

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવજો.

તોફાની શિશુખેલનો, રમકડા તણી ટોળીઓ, પડે નીકળી બહાર, સ્વસ્થ ગૃહચિત્ત નાખે ખૂંદી.

મોં જરાક લાંબુ, અણિયાળી આંખોને કેસુડાની પાંખડી સરખું નાક.

ને કરાડે ખીણ કેરી, ઊભું આ વૃક્ષ તોછડું.

મારા વાડા મહીનો નભકલગી સમો ગર્વિલો પારિજાત.

ફૂલ સમાં અમ હૈડા તમે લોઢે ઘડ્યા, બાપુ !

કમળ જેવો ખીલતો દિવસ, પોયણા જેવી રાત.

અમારા એ દાદા વિપુલ વડનાં ઝુંડ સરખા.

કાળસમોવડ તરંગ ઉપર ઊછળે આતમનાવ.

દમયંતિનું મુખ ચંદ્ર સમાન સુંદર છે.

ભ  મર સમો ભમતો પવનને ભમરા સ્વયં મુજને ખીલેલા લાગતા.

પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું.

શિશુ સમાન ગણી સહદેવને.

જતાં સ્વપ્ર જેવી પણ અહીં વસે લોક.

શરૂઆતમાં એ લોકો પીળાચટા વાધ જેવો લાગતો.

 

(૨) રૂપક અલંકાર.

  • જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ ગણી લેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
  • એટલે કે ઉપમેય અને ઉપમાનને એક ગણી લેવામાં આવે છે. બન્નેની એકરૂપતા દર્શાવવામાં આવે છે.
  • આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી નહીં પરંતુ ઉપમેયનું ઉપમાન ઉપર આરોપણ કરીને બન્નેને એકરૂપ ગણી લેવામાં આવે છે. તેથી અહીં સરખામણી કે સમાનતાનો ભાવ જોવા મળતો નથી.

ઉદાહરણો :

મનરૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો.

આયખું તો ફાગણનો ફાલ મારા બેલીડા આયખું તો આંબાની ડાળ.

ઈ આંગળિયાત મારી આંખ્યનું રતન.

જીવનવાડી કરમાઈ ગઈ.

સો સો બાણ ૨થીએ માર્યા, શરીર કીધું ચાળણી.

આપણે આવળ-બાવળ બોરડી કેસર ઘોળ્યા ગલના ગોટાજી.

જમીન પર પૃથિવીવલ્લભનું શબ છૂંદાઈને રોટલી બની પડ્યું હતું.

દેશ આપણો નથી, તે આપણને મળેલું સંપેતરું છે.

જીવનની પાનખર હવે આવી પહોંચી છે.

કલ્યાણીની આંખની અટારીએ આંસુના તોરણ બંધાઈ ગયા છે.

ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.

બપોર એક શિકારી કૂતરું છે.

પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ-બહેન છે.

મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું.

ફળીમાં આહલાદનું એક હળવું મોજું ફરી વળ્યું.

સમષ્ટિનાં સત્યનું હું ય રશ્મિ.

સો સો બાણ રથીએ માર્યો, શરીર કીધું ચાળણી.

અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર.

 

 (૩) ઉત્પ્રેક્ષા અલંકાર.

  • જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
  • આ અલંકાર ઓળખવવા માટે જાણે’, ‘રખે’, ‘શકે’ જેવા શબ્દો પ્રયોજવામાં આવે છે.

ઉદાહરણો :

અધરબિંબ જાણે પરવાળી.

શુકચંચા અતિ ઉત્તમ, જાણે અધરબિંબ અલંકૃત.

પંડિતજી જતાં જાણે કે સામેથી એક શિખરે અદશ્ય થઈ ગયું.

શકે શિશ બિંબ પૂંઠે તારા, એવો શોભે છે મોતીહાર.

પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર.

હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો.

જયાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ.

મુસાફરો, અસંખ્ય આ મુસાફરો, શું ટ્રેનને ચડ્યો ન હોય જાણે આફરો.

વેલ જાણે હેમની અવિવેકફૂલે ફૂલી.

દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે.

દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય.

બગલું જાણે પાણી પર ઝળૂબ્યું હોય એવી કાબરી બેઠી હતી.

અકળાઈ પડ્યો અવનિ વિષે, જાણે ભાંગ્યો ચંપાનો છોડ !

દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂંથીમાંથી જ મળેલો.

હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો.

આખું વન જાણે તામ્રપત્રે છવાઈ જતું લાગે.

કાયાના સરોવર જાણે હેલે ચઢ્યાં.

જેનાંમાં વૃક્ષપ્રીતિ નથી. એનામાં જાણે કે જીવનપ્રીતિ નથી.

 

(૪) વ્યતિરેક અલંકાર.

  • જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.
  • ઉપમેયને ઉપમાન કરતાં ગુણ, ક્રિયા કે ભાવની બાબતમાં અધિક દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

ઉદાહરણો :

બહુ નાની મોટી નાર, મંડપમાં મળી, કરે વાંકી છાની વાત, સાકર પેં ગળી.

ભૂલે! ભૂલે! અમૃત ઉદધિનું વસંત શી ! રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !

કુબેરને પણ આશ્રય આપી શકે એવડો હિમાલય ધનાઢ્ય છે.

નયનબાણ કરતાં પણ જિહવાબાણ વધારે કાતિલ નીવડે છે.

દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે.

ગંગાનાં નીર તો  વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે.

હલકા તો પારેવાની પાંખથી, મહાદેવથી ય મોટાજી.

એમની વાણી તો અમૃતથીયે મીઠી છે.

સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ?

શુક્રાચાર્ય નામ તે મારું, હું થી કાળ પામે બીકજી.

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારેમાસ રે.

તે કરતાં ‘ચંદ્રવદની’ કહી તો કર્યા હું ને ચંદ્ર એક રાસે રે!

એ વખતે પ્રભાતનું સૌંદર્ય બિછાનાની સ્વચ્છતા કરતાં ઊતરતું લાગે છે.

 

(૫) અનન્વય અલંકાર.

  • જયારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
  • એકની એક વસ્તુ ઉપમેય અને ઉપમાનના સ્થાને એક જ વાક્યમાં આવે ત્યારે તેને અનન્વય અલંકાર કહેવાય. ટુંકમાં, અન્ + અન્વય = જેને અન્ય કોઈ ઉપમાન સાથે સંબંધ નથી તે.

ઉદાહરણો :

આખરે દરિયો તે દરિયો જ.

ચાકરની બુધ્ધિ તે ચાકર જેવી.

વ્યોમ તો વ્યોમનાં જેવું, અબ્ધિયે અબ્ધિનાં સમો, રામ રાવણનું યુદ્ધ, રામરાવણના સમુ.

હિમાલય તો હિમાલય છે,

મા તે મા, બીજા વગડાના વા.

હીરા તે હીરા અને કાચ તે કાચ.

ટંડેલાઈ ઈ ટંડેલાઈ.

અપમાનિતા અપયશવતી તું, તો ય મા તે મા.

અબળાની શક્તિ તે અબળા જેવી.

ગાંધીજી એટલે ગાંધીજી.

સાગર સાગર જેવો છે, આકાશ આકાશ જેવું છે.

જોગનો ધોધ એટલે જોગનો ધોધ.

મનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે.

દાદાજી એટલે દાદાજી.

 

 

(૬) શ્ર્લેષ અલંકાર.

  • જયારે એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્ર્લેષ અલંકાર બને છે.
  • કોઈ પંક્તિમાં કે ઉક્તિમાં એક શબ્દના એકથી વધુ અર્થ થાય અને તેમાંથી અર્થની ચમત્કૃતિ ઉદભવે ત્યારે આ અલંકાર બને છે.

 ઉદાહરણો :

ચોમાસું આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે છે. (જિંદગી, પાણી)

એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માંને.  (સમજે, માં)

રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય ?  (નામ, સુર્ય)

તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. (વાસણ, ચરિત્ર્ય) (જળ, તાકત)

દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર, (રખેવાણ, દીવા નથી)

એમનું હતું હૃદય કામ વિષે ડૂબેલું. (કાર્ય, વાસના)

-/ ઉપરનાં ઉદાહરણોમાં કૌંસમાં આપેલ બે શબ્દ એ અલગ-અલગ અર્થ દર્શાવે છે.

 

(૭) વ્યાજસ્તુતિ અલંકાર.

  • જયારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.
  • વ્યાજસ્તુતિના બે પ્રકાર પડે છે :

૧. નિંદામાંથી સ્તુતિ.

૨. સ્તુતિમાંથી નિંદા.

  

૧  નિંદામાંથી સ્તુતિ :

આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટો વેરી છે.

સૂર્યદેવ ! તમારાં કિરણોએ શું ધોળું કર્યું ? અંધકારનું મુખ તો કાળું થઈ ગયું છે !

ચોરની સંગે શીખી તું ચોરવા- હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યું ને તે મન રે- હો વાંસલડી !

 

૨. સ્તુતિમાંથી નિંદા :

શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને ભાગ્યા.

તમે ખરા પહેલવાન ! ઊગતો બાવળ કુદી ગયા.

છગન માયકાંગલો નથી, પાપડતોડ પહેલવાન છે.

સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે.

ચાતક, ચકવા, ચતુર નર, નિશદિન રહે ઉદાસ, ખર, ઘુવડને મુર્ખ નર, સુખે સુએ નિજ વાસ.

તેના સંગીતનો એવો જાદુ કુંભકર્ણની કૃપા યાજવી જ ના પડે.

 

(૮) સજીવારોપણ અલંકાર.

  • જ્યારે નિર્જિવને સજીવ માની લેવામાં આવે અને સજીવની જેમ વર્તન કરતી દર્શાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે.

 ઉદાહરણો :

તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઊઠી.

ડામર ડમરો થઈને મહેકે.

ઓઢી અષાઢના આભલાં જંપી જગની જંજાળ.

ઊગી જવાય વાડે, જો આ ક્ષણે વતન હોય.

નખશિખ નશામાં ઝાડ કૈં ડોલ્યા કરે, ડોલ્યા કરે.

ડાળીએ તિમિર ડોકિયું કરી તાકતું તારો કેડો.

ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને.

ડુંગરાઓ પર હરિયાળી છે. એમણે નવા વેશ સજી લીધો છે.

સડક પણ પડખું ફરીને સુઈ ગઈ હોય.

હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ.

દાદાજીની વાતો સાંભળીને વૃક્ષો પણ માથું હલાવતા હતા.

ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી.

વૃક્ષો ઋતુઓની રાહ જતા રહે છે.

સાંજવેળા તેજ, છાયા, ઘાસ-સૌ સાથે મળીને ખેલતા.

રામને સીતાજી માટે વિલાપ કરતાં જોઈને પથ્થરો પણ રડી પડ્યા.

 

(૯) અપહનુતિ અલંકાર.

  • જ્યારે ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી તેના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તેને અપહનુતિ અલંકાર કહે છે.
  • અપહનુતિ એટલે છુંપાવવું તે.

 ઉદાહરણો :

એ હાથ નથી, જડતા છે, એ ખડગ નથી મહાવીરનાં કેશાવલી સમારવાના છે કાંસકા.

પેલા પિતામહ નથી, પ્રતિમા છે.

નહિં તે કંઈ દોષભર્યા નયનો, પણ નિર્મલ નેહ સરોવર સારસયુગ્મ સમા પરિપૂર્ણ દયારસ એ જખમી દિલનાં સયનો.

નારી તારી નાસિકનો મોર, નો’ય ભૂષણ, ચિત્તનો ચોર.

આ ન શહેર, માત્ર ધૂમ્રના ધૂંવા. ન શહેર આ, કુરૂપની કથા, ન આ શહેર, વિરાટ કો વ્યથા.

નહીં તે કંઈ દોષભર્યાં નયનો, નિર્મલ નેહ - સરોવર સારસ.

નારી તારી નાસિકાનો ગો, નો’ય ભૂષણ ચિતનો ચોર.

 

 

(૧૦) અતિશયોકતી અલંકાર.

  • જયારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે.
  • જયારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અલંકાર બને છે.

 ઉદાહરણો :

શીલાની બન્ને આંખે શ્રાવણ-ભાદરવો વહી રહ્યા.

આકાશધરા ત્યાં કંપ્યાં, ડોલ્યાં ચૌદ બ્રહ્માંડ.

પડતાં પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા.

તેના ધનુષ્ય ટંકારની સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી.

કાચે તે તાંતણે હરિજીએ બાંધી.

જૂનું તો થયું રે દેવળ જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું.

એ હતું કટક ? ના-ના, તે તો તલવારોનું અરણ્ય!

શું આભ સૂરજ - ચંદ્રમીના તેલ ખૂટ્યાં ?

એ નાટક એટલું કરુણ કે, થિયેટરે અશ્રુ-સાગર બની ગયું.

 

(૧૧) દ્રષ્ટ્રાત અલંકાર.

  • જ્યારે એક વાક્યની વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે છે ત્યારે આ અલંકાર બને છે.
  • આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીનો ભાવ હોતો નથી.

 ઉદાહરણો :

પીળા પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં, ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીયા.

મેઘ પર મેઘનાં ડોલતા ડુંગરા, તે છાયા શાંત છે કેટલા સ્પંદનો, અંતરે આંસુના નીરના કૈં ઝરા, તે છતાં મૌન છે કેટલા ક્રન્દનો !

કાબુ કલંક પણ ચંદ્રની શોભા વધારે છે તેમ ઉકરડો ગામની શોભા વધારે છે.

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ કરે.

અને બધી પાછી હવામાં ઝાડ હાલે એમ વાંકી વળી વળી હસવા લાગી.

મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત કરે.

ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ.

જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો, અન્યને સુખિયાં કરે.

વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે, ખળું ખાતું હોયે જો અન્ન, તો જીવે નહિ એકે જન.

હંસા, પ્રીતિ ક્યાંયની ? વિપત પડે ઊડી જાય, સાચી પ્રીત શેવાળની, જળ ભેગી સુકાય.

 

(૧૨) અર્થાન્તરન્યાસ અલંકાર.

  • અર્થાન્તરન્યાસ એટલે બીજો અર્થ મૂકવો તે, એક વિધાનના સમર્થનમાં એજ અર્થનું બીજું વિધાન મૂકવું તે.
  • જ્યારે સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા થતું સમર્થન બતાવાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર બને છે.

 ઉદાહરણો :

ઊગે કમળ પંકમાં તદપિ દેવિશરે ચડે, નહીં કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણ વડે.

જેવી સંગતિમાં ભળે તે પણ તેવાં થાય, ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઈ જાય.

નીચી દૃષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, શત લાંઘણ કેસરી કરે તોયે તૃણ નવ ખાય.

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.

ઉદ્યમે જ થતાં કાર્યો, નહીં માત્ર મનોરથે, સૂતેલા સિંહના મુખે પ્રવેશે મૃગનાં ભૂલે.

અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજાયું આ અવિનમાં.

જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે.

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે, મત્સ્યબોગ બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.

દ્યુતિ જે તને જિવાડતી દ્યુતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી.

  

(૧૩) સ્વભાવોક્તિ અલંકાર.

  • જ્યારે કોઈપણ અલંકારનો ઉપયોગ કર્યા વિના, જેવું હોય તેવું યથાર્થ આલેખન કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે.
  • જેમાં વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યું હોય તે અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહે છે.
  • સ્વભાવોક્તિ એટલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું.

 ઉદાહરણો :

શોકાવેશે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી ને ચિન્તાથી જવલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી.

આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢી ધન હોય.

ક્યાંય આછોય તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે.

સુરભિને લય ત્યાં જ પતંગિયું લપક્તું અવદ્વાર થકી અને મન ગમ્યું વિહરી.

ઊંચે બધાં શિખર શ્વેત થયાં જણાય, નીચે નદીવહનમાં તરૂઓ તણાય.

મુખ નાસિકા મોહનનાં ચૂએ, કર કપાળે દઈ આડું જુએ.

પાડે તાળી, વજાડે ગાલ, આંતરી વળે ઉરછૃંખલ બાળ.

અહો! ક્યારે ક્યારે થનનથન નાચી મૃગ રહે, વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે.

 

(૧૪) અન્યોક્તિ અલંકાર.

  • જ્યારે મુખ્ય મુદ્દા કે વાતને છુપાવી રાખી આડકતરી વાત કરવામાં આવે અને આડકરતી વાત દ્વારા જ મુખ્ય વાતનો બોધ કરાવવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે.
  • આ અલંકારમાં મોટાભાગે કહેવતો આવતી હોય છે જેના આધારે આ અલંકાર ઓળખી શકાય છે.

 ઉદાહરણો :

ધુવડ સો વર્ષ જીવે પણ એને દિવસની ગમ ન પડે.

ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.

પારકી મા જ કાન વિંધે.

અધુરો ઘડો છલકાય ઘણો.

ઝાઝા હાથ રળિયામણાં.

મોરના ઈંડા ચીતરવાં ન પડે.

સત્તા આગળ શાળપણ નકામું.

 

(૧૫) વિરોધાભાસ અલંકાર.

  • જયારે બે ભિન્ન વસ્તુઓને એકસાથે રજૂ કરતાં વિરોધ ઉત્પન્ન થાય, પણ એ વિરોધનો માત્ર આભાસ જ હોવાથી તેને વિશે ઊંડો વિચાર કરતાં તે વિરોધનું શમન થઈ જાય તેવા અલંકારને વિરોધાભાસ અલંકાર કહે છે.
  • જે કથનમાં સામાન્ય દૃષ્ટિથી જોતાં તે અર્થહીન લાગે, પરંતુ વધુ વિચારતા તેમાં ઊંડો અર્થ દેખાય તેને વિરોધાભાસ અલંકાર કહે છે.

ઉદાહરણો :

હે સિંધુ, તું ખારો છે, છતાં અમીરસભર્યાં છે.

જેઠ તપી રહ્યો જગમાં રે, અને શ્રવણ આંખે.

તમેય કેવાં છે અજબ દયિતે ! કે નયમાં અભવોને ભાવે પણ મુજ રમી એક જ રહ્યાં!

 

  GPSC મુખ્ય પરીક્ષા માટેનાં પ્રેક્ટીસ કરી શકાય તે માટેનાં અગત્યના પ્રશ્નો :

૧. અલંકાર એટલે શું? તેના મુખ્ય પ્રકાર જણાવો.

૨. શબ્દાલંકાર એટલે શું ? તેના મુખ્ય પ્રકારો લખો.

૩. અર્થાલંકાર એટલે શું ? તેનાં મુખ્ય પ્રકારો લખો.

૪. ઉપમેય અને ઉપમાન એટલે શું ? દષ્ટાંત આપી સમજાવો.

૫. ઉપમા અને રૂપક અલંકાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

૬. યમક અને ષ્લેષ અલંકાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

૭. વર્ણાનુપ્રાસ અલંકાર દ્રષ્ટાંત સાથે સમજાવો.

૮. અન્યોક્તિ અલંકાર બે ઉદાહરણો આપી સમજાવો.

૯. “મા તે મા, બીજા બધા વગડાના વા” - પંક્તિનો અલંકાર સમજાવો.

૧૦. “હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ” - પંક્તિનો અલંકાર સમજીવો.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up